
માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો
શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિ મહાપર્વનો ગુરુવારથી શુભ આરંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીની બે વર્ષની લાંબી અવધિ બાદ આ નવરાત્રિએ માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મા અંબા નિરોગી રાખે તે સાથે માઈભક્તોએ મહામારીની સાવચેતી માટે સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરે, માસ્ક અવશ્ય ધારણ કરે તેવો અનુરોધ છે. આ સાથે સમગ્ર વિશ્વ આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થાય તેવી મા અંબાને પ્રાર્થના છે. – જયશીલભાઈ ઠાકર, પૂજારી ભટ્ટજી મહારાજ અંબાજી મંદિર
દેવીની આરાધના-ઉપાસના જીવનમાં નવી ઊર્જા પ્રદાન કરે છે
આસો નવરાત્રિનું સવિશેષ મહત્વ છે. શાસ્ત્રની દ્રષ્ટીએ માતાજીની ઉપાસના માટે આ શ્રેષ્ઠ દિવસો છે. આ વર્ષે એક નોરતું ઓછું છે એટલે કે આઠ દિવસની નવરાત્રિ રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે આસો સુદ એકમે મા બહુચરનાં ચરણોમાં ઘટ સ્થાપન કરાય છે.
આ ઘડાને માતાજીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં દેવીની આરાધના, ઉપાસનાથી જીવનમાં નવી ઊર્જા પ્રદાન થાય છે અને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. દરેક વ્યક્તિએ નવરાત્રિમાં એક સંકલ્પ કરવો જોઈએ. બે વર્ષ બાદ માતાજીનાં નવરાત્રિમાં સન્મુખ દર્શન થનાર હોઇ કોવિડની ગાઇડ લાઇન મુજબ ફરજિયાત માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે દર્શનનો લાભ લઇએ. – તેજસભાઇ રાવલ, મુખ્ય પૂજારી બહુચરાજી મંદિર
બહુચરાજી ઘટસ્થાપન : સવારે 7-30 કલાકે – દર્શન સવારે 6થી રાત્રિના 9-30 સુધી