પાંડેસરા, વડોદગામ ખાતે ગણેશનગરમાં અજંટા માર્કેટની દુકાનોની આગળનો છતનો ભાગ પડતા પાંચને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.
શુક્રવારે રાત્રે પાંડેસરા ખાતેના ગણેશનગર વિસ્તારમાં મકાન પડી ગયો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેને પગલ ભેસ્તાન, મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીની અજંટા માર્કેટની દુકાનોમાં લોકો ખરીદી કરી રહયા હતા. ત્યારે નવેક વાગ્યાના અરસામાં છથી સાત દુકાનોના આગળનો છતનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેને લીધે ત્યાં હાજર પ્રભાત રામનારાયણ પ્રજાપતિ,સચિન મોર્યા,આલોક મુન્સીલાલ યાદવ,શોભાન મુન્સીલાલ યાદવ અને દિપેન્દ્ર મુન્સીલાલ યાદવને ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.જે પૈકી સારવાર દરમિયાન આલોકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સારવાર હેઠળ છે. ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢએ જણાવ્યું હતું કે, અજંટા માર્કેટમાં નીચે દુકાન અને ઉપરના માળે મકાન આવ્યાં છે. આ ઘટના બન્યાં બાદ મકાનમાં ફસાયેલા આઠેક લોકોને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.