
હીરાબાગ લકઝરી બસ દુર્ઘટનામાં આગનું કારણ શોધવા ઍફઍસઍલની ટીમને સાથે રાખી કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. હજુ સુધી ઍફઍસઍલ નો રિપોર્ટ તો સોંપ્યો નથી,પરંતુ પોલીસને બસની સ્ટોરેજ ડીકીમાં મળેલાં પાર્સલોમાંથી હીરા સાફ કરવામાં ઉપયોગી હાઇડ્રોક્લોરીક ઍસિડ અને પર્કલોરિક ઍસિડની બોટલ મળી આવી હતી.આ પાર્સલ વાળી ડીકીમાંજ બ્લાસ્ટ થયો હોઇ પોલીસે આ નિયમ વિરૂદ્ધ હેરાફેરી બદલ બસના ડ્રાઇવર- ક્લીનર. મહેતાજી તથા પાર્સલ મોકલનાર કતારગામના વેપારી અને માલ મગાવનાર ભાવનગરના વેપારીને આરોપી બનાવ્યો હતો.
ગત ૧૮મી જાન્યુઆરીઍ હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી હતી. ગોવાથી હનીમુન મનાવી પરત ઘરે જવા માટે સુરતથી બેઠેલું ભાવનગરનાં દંપત્તિ પૈકી પત્ની બસમાં વિસ્ફોટ સાથે લાગેલી આગમાં ભડથું થઇ ગઇ હતી. પતિ દાઝી જતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં અન્ય ૧૨ મુસાફરો ઇમરજન્સી ઍક્ઝિટ અને બારીમાંથી કૂદી પડતા બચાવ થયો હતો. બસમાં આગ ઍટલી ભયાનક હતી કે ગણતરીના સમયમાં બસ અગન ગોળો બની ભસ્મીભૂત થઇ ગઇ હતી. પોલીસે આ ઘટનાનું રહસ્ય જાણવા માટે ઍફ.ઍસ. ઍલ.ની મદદ લીધી હતી. જોરે હજુ સુધી તેનો રિપોર્ટ નહિ આવ્યો ન હતો. બીજી તરફ પોલીસે પેસેન્જર વ્હીકલમાં માલ સામાન મોકલી ગુજરાત મોટર વ્હીકલ ઍક્ટ ૧૯૮૯નો ભંગ કરી બસની ડીકી તથા સોફા નીચે જ્વલીનશીલ સામગ્રીની હેરાફેરી કરવા બદલ દોષી ગણી આઇ.પી.સી.ની કલમ ૩૦૪(૨), ૩૩૭, ૩૩૮, ૨૮૫ અને ૧૧૪ અંતર્ગત સબ ઇન્સપેક્ટર ઍ.જી. ખોથે ફરિયાદ નોંધાવી હતી.