
સુરતમાં ફેનિલ ગોયાણીઍ કરપીણ રીતે ગ્રીષ્મા વેકરિયાની ઍકતરફી પ્રેમમાં હત્યા કર્યા બાદ ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી. દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ દીકરી ગ્રીષ્માની હત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી. ત્યારે દીકરીને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાઍ નનામીમાં જોઈને પડી ભાંગ્યા હતા.
દિવ્યાંગ માતા-પિતાઍ દીકરીની અંતિમ યાત્રા વખતે કરેલા કાળા કલ્પાંત અને હૈયાફાટ રુદનથી અંતિમ યાત્રામાં આવેલા સમાજ અને પરિવારના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.બીજી તરફ, અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. અંતિમ યાત્રામાં ગમગીની છવાઈ હતી.