
સુરત રેલવે સ્ટેશને સોમવારે સદનસીબે ઍક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનના ગાર્ડની સાવચેતીને પગલે ઍક મુસાફર ટ્રેનની નીચે આવતાં બચી જવા પામ્યો હતો. ગાર્ડે સમયસર ઇમર્જન્સી બ્રેક લગાવતાં મુસાફરનો જીવ બચ્યો હતો. આ ઘટના સવારે ૮ : ૩૮ કલાકે સુરત સ્ટેશને બની હતી.
ટ્રેન નંબર ૧૯૦૯૧ બાંદ્રા-ગોરખપુર ઍક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે ૮ : ૩૨ કલાકે સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૧ પર આવી હતી. ૫ મિનિટના રોકાણ બાદ તે ઉપડી હતી.જો કે, થોડી જ વારમાં આશરે ૪૦ વર્ષનો ઍક મુસાફર ટ્રેનના કોચ બી-૬માંથી ઉતરવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગુમાવી બેસ્યો હતો, તે સમયે ટ્રેનની ઝડપ ૨૦ કિમીની હતી. સ્ટેશન પર લોકો મુસાફરને બચાવવા માટે પાછળ-પાછળ દોડવા લાગ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતાં તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના પગલે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં ૩૦ મીટર સુધી તે ઘસડાતો રહયો હતો.ટ્રેન ચાલુ થયા બાદ મારી નજર અચાનક નીચે ઉતરવાની કોશિશ કરતાં મુસાફર પર પડી. જો હું આ બાબતની સૂચના લોકો પાયલોટને આપત અને તેઓ બ્રેક મારત ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હોત અને સંભવતૅં મુસાફરનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જાત. આ સ્થિતિમાં મુસાફરનો જીવ બચાવવા માટે મને ઇમર્જન્સી બ્રેક લગાવવી જ યોગ્ય લાગી.