
ભેસ્તાનના સરસ્વતી આવાસ કૌભાંડમાં હાથ કાળા કરનારાઓને સોધવા વિશેષ સમિતિઍ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યાં હવે ઉમરામાં નિર્મળનગર આવાસ પણ ૧૩ વર્ષમાં જ જર્જરિત થઈ જતાં પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે તપાસનો ગાળિયો કસવા આદેશ જાહેર કરાયા છે. પાલિકાના સફાઇ સેવકોને છત આપવા સરકારની દિનદયાળ યોજના હેઠળ પાલિકાની વિશાળ જમીન ઉપર બનેલા ૧૭ બિલ્ડિંગ પૈકીના કેટલાકના પીલર અને સ્લેબમાં મોટી તીરાડો પડી ગઈ છે. આ પ્રકરણમાં સ્ટેન્ડિંગ કમિટીઍ તટસ્થ તપાસ માટે નોંધ મુકતાં જ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પાલિકામાં સફાઇ સેવકોને પાકા આવાસની સુવિધા પુરી પાડવા અઠવા ઝોનના ઉમરાગામ સ્થિત ઍસવીઍનઆઈટી કેમ્પસ નજીકમાં પાલિકાની વિશાળ જમીન પર નિર્મળ નગર આવાસનું નિર્માણ કરવા વર્ષ ૨૦૦૫માં ખાતમુહૂર્ત કરાયું હતું. નિર્મળ નગર આવાસ માટે કુલ ૧૭ બિલ્ડિંગમાં ૨૦૪ ફ્લેટના આયોજન સાથે શરૂ કરાયેલું નિર્માણ વર્ષ ૨૦૦૮ સુધીમાં પુર્ણ કરાયું હતું. ઍટલું જ નહીં પણ પાલિકાના વિવિધ ઝોનના સફાઇ સેવકોને ડ્રો કરી વર્ષ ૨૦૦૯માં આવાસના કબજા સોંપાયા હતા.પોશ ગણાતા વિસ્તારમાં ફાળવાયેલા આ આવાસોના રહીશોઍ પાલિકા સમક્ષ બળાપો કાઢી કહયું હતું કે, ” આવાસની દીવાલો તૂટી ગઈ છે અને પિલરો ફાટી ગયા છે ” તેમણે તપાસ કરવા માટે માગણી કરતા પાલિકા ફરી હરકતમાં આવી છે.બહુ ચકચારી ભેસ્તાનના સરસ્વતી આવાસ તેમજ ગોટાલાવાડી રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ઉમરાના નિર્મળ નગર આવાસના ભ્રષ્ટાચારરૂપી પોપડા ખરવા માંડતાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીઍ ઉમરા ગામમાં બાંધકામ વખતે આવાસનું સુપરવિઝન કયા વિભાગના કયા અધિકારીઓઍ કર્યું હતું. કોન્ટ્રાક્ટર અને પીઍમસીની માહિતી સહિતનો લેખિત રિપોર્ટ રજૂ કરવા નોંધ મુકી છે. તપાસ કમિટીઍ આ કિસ્સામાં આવાસ બિલ્ડિંગ જર્જરિત થયા પછી પ્રથમ નોટિસ ક્યારે ફટકારાઇ હતી તે વિગતો પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.પાલિકાના સફાઇ કર્મીઓ માટે પાકા આવાસ બનાવવાની પ્રક્રિયા જે તે વખતે અઠવા ઝોનના હાઉસીંગ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. આ આવાસોના લોકાર્પણના માત્ર ૧૩ વર્ષમાં જ બિસ્માર બની ગયેલા નિર્મળનગર આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા માટે ડ્રો પ્રક્રિયા સ્લમ અપગ્રડેશન સેલ દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાની પણ માહિતી પ્રકાશમાં આવી છે. આ અંગે વધુ તપાસ શરૂ થતાં બેદરકારોમાં ફફડાટ ફેલાયો હતો.