ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે. ત્યારે નવસારી પારસી સમાજ દ્વારા વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરવામાં આવે છે. વરસાદને રીઝવવાની અનોખી પરંપરાની ઉજવણી નવસારીમાં કરવામાં આવી રહી છે.
ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર કહેવાય છે. આ માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન પૂરવાર કરે છે. આ માસ દરમ્યાન પારસી કોમ પોતાના કુટુંબના મૃત્યુ પામેલાં પિતૃઓની પૂજા કરે છે. માટે પારસી સમાજમાં બહેમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્વ છે. પારસી ધર્મમાં બહેમન માસનો રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા રહી છે, ત્યારે નવસારી પારસી સમાજનાં દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની શરૂઆત ૧૯૫૯ વર્ષમાં આવેલા દુકાળનાં સમયથી થઈ હતી. ત્યારથી ઘી-ખીચડીનો કાર્યકમ યોજી મેઘરાજાને રીઝવે છે. આ દિવસે પારસી સમાજનાં બાળકો અને પુરુષો સમાજનાં દરેક ઘરે-ઘરે ફરીને અનાજમાં દાળ, ચોખા, ઘી અને તેલનું ઉઘરાણું કરી ઍક સાથે ભોજન કરે છે તથા આ દિનને ઘી-ખીચડીનો દિન તરીકે પણ ઓળખાય છે તેમજ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ઘી-ખીચડીનો પૈસો, દોઢિયાનો રૂપિયો, વરસાદજી તો આયેગા..નું ગીત ગાઈને દાલ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામહિક ભોજન કરે છે.