સુરતમાં તિરંગા યાત્રામાં જ રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવનાર આમ આદમી પાર્ટીઍ ગત ૧૧ માર્ચના રોજ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તે અંતર્ગત સીમાડા નાકા સ્થિત આપના કાર્યાલય આગળ લોકો રાષ્ટ્રધ્વજ લઈને ઉભા હતા. તે પૈકી મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬ ના મહિલા કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડીયાઍ જ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી લહેરાવ્યો હતો.તેના ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અંગે મૂળ અમરેલીના સાવરકુંડલાના નેસડી ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક કૃષ્ણકુંજ સોસાયટી ઘર નં.૩૧ માં રહેતા ૪૭ વર્ષીય વેપારી પ્રણવકુમાર મગનભાઈ પટેલે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે ગત મોડીરાત્રે શોભનાબેન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધ્યો હતો.